| માનો ય ન માનો |
જીવનમાં ભક્તિ, પાર્થના અને શ્રદ્ધા ઘણી અગત્યતા ધરાવે છે.પરંતુ હમેશા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા પારખવી ઘણી કઠણ સાબિત થાય છે. અંધશ્રદ્ધાની દુકાનો દેશમાં ઘણી ચાલે છે. જેની સામે આંગળી કરતા પહેલા પણ વિચાર કરવો પડે અને તેથી જ આંખો બંધ રાખીને પણ તેને વેઠવી પડે છે. સદ્દનસીબે કોઈ બાબતે ઉહાપોહ થાય અને દુકાન બંધ થાય તો ભગવાનની કૃપા થઈ કહેવાય. પરંતુ મોટાભાગે તેવું શક્ય નબતું નથી. આ લેખમાં એક એવી જગ્યાનો ઉલ્લેખ કરી રહ્યો છે. તેને તમે શ્રદ્ધાના તાંતણ જોશે કે અંધશ્રદ્ધાના તે તમારે નક્કી કરવાનું છે. મારી આ જગ્યાની મુલાકાત અચનાક હતી. રસ્તામાં અચાનક આ દ્રશ્ય જોઈને હું થંભી જવા માટે મજબૂર બની ગયો હતો અને બે પ્રશ્નો કરવાનું મન પણ થયું અને મને લખવાની જગ્યા મળી જેથી લખી રહ્યો છું.
મહેમદાવાદ તાલુકામાં નેનપુર ચોકડીથી નેનપુર ગામ તરફ જતી વખતે તમને અસંખ્ય સાડીઓ ઝાડ પર લહેરાતી જોવા મળશે. ઝાડ પર લહેરાતી સાડીઓ તમને અનેક જગ્યાએ જોવા મળશે પરંતુ આ ઠેકાણે અતિશય સવિશેષ છે. જે તમે આ રસ્તે નવા હશો તો તમને રોકાવા માટે મજબૂર કરી દેશે. અંદાજે હજારોની સંખ્યામાં સાડીઓ હશે જેની સંખ્યા લટકાવનારો જ બતાવી શકે.
જ્યારે ચુડેલ માતાનું મંદિર બન્યુ ત્યારે મોટાભાગે લોકો અકસ્માતથી બચવા માટે સાડીઓ અને શણગાર ચુડેલ માતાને ચઢાવતા હતા પરંતુ હવે તો કોઈ નાની કે મોટી સમસ્યા હોય તો પણ સાડી અને શણગાર ચઢાવા માટે ગુજરાતભરમાંથી લોકો આવી રહ્યાં છે. જોકે લોકોની સમસ્યાઓનો નિકાલ થઈ રહ્યો છે જેથી શ્રદ્ધા વધી રહી હોય તેમ બની શકે.
ચુડેલ માતાની મંદિરની આગળ શણગાર લઈને ઉભા રહેતા બે લારીઓવાળાને રોજના પાંચસો રૂપિયા જેવો ધંધો આરામથી થઈ જાય છે. જ્યારે રવિવારે ભીડ વધારે રહેતી હોય છે જેથી ધંધો એક હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે તેમ લારીઓવાળા જણાવી રહ્યાં હતા. દરરોજ આ મંદિરે બસ્સો લોકો આવે છે અને રવિવારે સંખ્યા પાંચસોની આસપાસ પહોંચી જતી હોય છે.
જે ચુડેલ માતાની ડેરી વધી રહેલા અકસ્માતાનો અટકાવા માટેની ભાવના સાથે થઈ હતી તે ડેરી હવે અન્ય પીડા પણ દૂર કરે છે. જોકે આટલી બધી સાડીઓનો ઝાડ લકટકાવીને બરબાદ કરવી તેના કરતા જેની પાસે કપડાં ન હોય તે ગરીબ લોકોને પણ આપી શકાય.પરંતુ તે બાબતે જાણકારો કહી રહ્યાં છે કે ચુડેલ માતાનું મંદિર ભુતયોનીમાંથી બન્યું છે અને તેમને ચડાવેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ અન્ય લોકો ન કરી શકે જેથી સાડીઓને ઝાડ પર લટકાવી હિતાવહ છે. વર્મતાન સમયમાં આ રોડ પર પાંત્રીસ હજારથી વધારે સાડીઓ ઝાડો પર લટકી રહી છે અને હજૂ દિવસેને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે.
રાકેશ પંચાલ
