www.GraminPatrika.com: કેમ વધી જાય છે ડુંગળીના ભાવ Blogger Widgets

કેમ વધી જાય છે ડુંગળીના ભાવ

 ગરીબોની કસ્તુરી થઈ મોંઘી

દેશમાં ગરીબોની કસ્તુરી ડુંગળી દરેકને રડાવી રહી છે. ચોમાસા દરમ્યાન ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે. ડુંગળી દરેક વર્ગ માટે અગત્યતા ધરાવે છે. સમાજનો દરેક વર્ગમાં તેનો બહોળો વપરાશ છે. સરકાર જો ચોક્કસ પગલાં ભરે તો ડુંગળીનો ભાવ નીચે લાવી શકે તેમ છે. દર વખતે ચોમાસ દરમ્યાન ડુંગળીના ભાવ કેમ આસમાને પહોંચી જાય છે તેના અમુક કારણો છે.



જોકે ગુજરાતના નસવાડી જેવા આદિવાસી પંથક કે પછી ચરોતર જેવો સમૃદ્ધ પ્રદેશ અને તે સાથે  મુંબઈ, દિલ્હી જેવા મેટ્રોસિટી દરેક દરેક જગ્યાએ ડુંગળી જમવાની થાળીમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. ડુંગળીનો ભાવ આસમાને પહોંચી જાય છે જેની સીધી અસર હોટલો અને નાસ્તાની લારીઓમાં જોવા મળે છે. નાસ્તાની પ્લટોમાંથી ડુંગળી ગાયબ થઈ જાય છે. જોકે ગૃહિણીઓ ડુંગળીનો ભાવ વધે ત્યારે પોતાની રીતે ઘરનું બજેટ સંભાળી લેતી હોય છે, મોટાભાગની શાકભાજી મોંઘી થઈ જવા પામી છે ત્યારે ગરીબોને બટાટા અને ડુંગળીનો સહારો હતો. તેમાં ચોમાસા દરમ્યાન બટાટાની બહેન ડુંગળી મોંઘી થઈ જવા પામી છે. જેથી ગરીબોને પણ ડુંગળી છોડવાની વારી આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. માનવામાં આવે છેકે 40 રૂપિયે કિલો ડુંગળી તે પ્રારંભિક ભાવ વધારો છે અને હજૂ જો સરકાર યોગ્ય પગલાં નહી લો ભાવ વધી શકે તેમ છે. ઓગષ્ટ મહિના પછી ડુંગળીનો ભાવ ઓછો થઈ શકે છે.

વર્ષ 2010ના ડિસેમ્બર મહિનામાં પણ ડુંગળીનો ભાવ 40 રૂપિયે કિલો રહ્યો હતો.  આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નસવાડી જેવા આદિવાસી વિસ્તારોમાં ડુંગળી પંદર રૂપિયે કિલો વેચાઈ રહી હતી. પરંતુ વાડીઓમાં શાકભાજીનો પાક ઓછો  ઉતરતા આ તાલુકાના વેપારીઓને શાકભાજી સહિત ડુંગળી અન્ય પંથકમાંથી લાવવાની ફરજ પડી રહી હતી તે દરમ્યાન નસવાડી તાલુકામાં ડુંગળીનો ભાવ 20 રૂપિયે કિલો પહોંચી ગયો હતો. નસવાડી જેવા આદિવાસી વિસ્તારોમાં ડુંગળીનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં થાય છે ત્યાં કસ્તુરીનો વધેલો ભાવ ગરીબોને પોષાય તેમ નથી.

ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં ડુંગળી 10 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં ડુંગળીનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. મહારાષ્ટ્રના નાસિક સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા ડુંગળી ઉત્પાદક ક્ષેત્રોમાં નબળા ચોમાસાના કારણે ડુંગળીના પાક પર પડેલી વિપરિત અસર જવાબદાર ગણવામાં આવે છે.

ચોમાસાના સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ડુંગળીનો પૂરવઠો ઓછો હોય છે પણ આ વર્ષે મોટી તંગીના એંધાણ છે. ૨૦૧૨-૧૩માં ડુંગળીનું ઉત્પાદન ૨૦ ટકા ઘટે તેવી શક્યતા છે.ખેડૂતોનું કહેવું છે કે વરસાદ પર આધારિત હોવાથી તેઓ નિઃસહાય છે. ડુંગળીની અછત હોવાથી તેના ભાવ આસમાને પહોંચ્યા છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન હોવાથી ઉત્પાદન ઘટયું છે. 

ડુંગળીનો ભાવ ત્યારે અટકી શકે જ્યારે સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો મળી રહે અને તે  માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવે અને જો આ પ્રકારે કરવામાં આવે  તો ડુંગળીના ભાવ પણ ઘટી શકે છે. બીજી બાજુ પાકિસ્તાનથી ડુંગળીની આયાત કરવાનો પણ સરકાર પાસે વિકલ્પ છે.

ચૌદ વર્ષ પહેલા ડુંગળીના ભાવવધારાના કારણે દિલ્હીની સરકારે પરિણામ ભોગવ્યું છે. ચાલુ વર્ષે હોલસેલ બજારમાં ડુંગળી પહેલી જૂને  8.5 રૂપિયા પ્રતિ કિલો મળી રહી હતી જે  દસમી જુલાઈ વધીને 28 રૂપિયે પ્રતિ કિલો પહોંચી ગઈ હતી. જે રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે તે પ્રદેશોના શહેરોમાં ડુંગળી 30થી 45 રૂપિયે કિલો મળી રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ડુંગળી 40 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જોકે નાસિક તરફથી ડુંગળી દક્ષિણ તરફ વિપુલ પ્રમાણમાં જઈ રહી છે. જેથી નોર્થ ઈન્ડિયા અને પ્રાંતોમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે.


    રાકેશ પંચાલ