આજે રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસ
વર્ષોની ગુલામી બાદ ભારત દેશ 15મી ઓગષ્ટ, 1947ના દિવસે આઝાદ થયો, અને ત્યારથી આઝાદના પ્રતિક સમાન એવો તિરંગો ઝંડો સ્વતંત્ર ભારતની ઓળખ બની. દર વર્ષે 22મી જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1947ની 22 જુલાઈએ મળેલી બંધારણ સભામાં તિરંગાની ડિઝાઈનને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું. જેનો નિર્ણય સર્વસ્વિકૃતિ થયો હતો.
ભારતનો પણ પોતાનો ઝંડો હોવો જોઈએ તે બાબતે પિંગલી વૈંક્યાએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની મળેલી નેશનલ કોન્ફરન્સમાં 31મી માર્ચ, 1921ના રોજ આંધપ્રદેશના કાકીનાડા ખાતે જણાવ્યું હતું. આ વિચારથી મહાત્મા ગાંધી ઘણા પ્રભાવિત થયા હતા અને તે દિશામાં કામ કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ પિંગલી વૈંક્યા અનેક વખત વિવિધ પ્રકારની ડિઝાઈનો લઈને ગયા હતા. પ્રારંભિક તબક્કે સેફરોન અને લીલો કલર ઝંડામાં રાખવામાં આવ્યો હતો. જેમાં આગળ જતાં ગાંધીજીએ સફેદ કલર ઉમેરવાનો કહ્યો હતો. જે લધુમતિઓનું પ્રતિક હતું. જેથી પિંગલી વૈંક્યાના ઝંડામાં સેફરોન, સફેદ અને લીલા કલરના પટ્ટા આવ્યાં અને સફેદ પટ્ટાની મધ્યમાં ભુરા કલરનો ચરખો આવ્યો . જે વિકાસનું પ્રતિક હતું.
જોકે પિંગલી વૈંક્યાએ દેશનો ઝંડો સેફરોન અને લીલા કલરમાં બનાવેલો હતો. જે દેશની મુખ્ય બે કોમ્યુનીટીને દર્શાવતી હતી., પરંતુ તેમાં ગાંધીજીની સલાહથી સફેદ કલરનો પટ્ટો અને જાલંધરના લાલા હસંરાજની સલાહથી ચરખો રાખવામાં આવ્યો જે ઝંડાની સર્વસ્વિકૃતિ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્રારા પહેલી ઓગષ્ટ 1931ના રોજ બોમ્બે ખાતે થવા પામી હતી. અને તેનો ઉપયોગ નેશનલ કોંગ્રેસ આઝાદની ચળવળમાં કરતી હતી.
આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવા માટે એક ફ્લેગ કમિટી બનાવામાં આવી હતી. જેમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ આઝાદ, સરોજીની નાયડૂ, સી. રાજગોપાલચારી, કે.એમ.મુનશી, કે.એમ.પાનીકર તેમજ ડૉ.ભીમરાવ આંબેડકર હતા. જેમણે સતત ત્રણ અઠવાડિયા સુધી મંત્રણા કર્યા બાદ નક્કી કર્યું હતું કે નેશનલ કોંગ્રેસના ઝંડામાં થોડા ઘણા સુધારા કરીને તેને ભારતનો રાષ્ટ્રધ્વજ ઘોષિત કરવામાં આવે. જેમાં ચરખાની જગ્યાએ ધર્મચક્રને રાખવાનું નક્કી થયું હતું.
ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવાનો અધિકાર કર્ણાટકના હુબલી શહેર ખાતે કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ પાસે છે. તિરંગાની બનાવટમાં જાપાની સંચાઓ વપરાય છે. જેથી ધ્વજની ચોતરફ લેવામાં આવતા ટાંકામાં ચોક્સાઈ આવે છે. અહીં તૈયાર થતો રાષ્ટ્રધ્વજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત થાય પછી જ તેને વેચાણમાં મુકી શકાય છે.
પિંગલી વૈંક્યાની ઓળખ
પિંગલી વૈક્યાનો જન્મ આંધ્ર પ્રેદશના ભટ્લા પેનુમર્રુ ગામે 2 ઓગષ્ટ 1876ના રોજ થયો હતો. તેમણે 19 વર્ષની વયે આર્મીમાં જોડાયા હતાં. તેમણે દક્ષિણ આફ્રિકા ખાતે બોઅર યુદ્ધની લડાયમાં જવાનું થયું હતું. જે બોઅર યુદ્ધ ૧૮૯૯થી ૧૯૦૨ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્ય અને દક્ષિણ આફ્રિકાના બે સ્વતંત્ર દેશો ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટના બોઅરો વચ્ચે ખેલાયું હતું. યુદ્ધ વિરામ બાદ તેઓ પરત ફર્યા અને સિક્રેટ રિવોલ્યુશનરી યુનિટ્સમાં મેમ્બર બન્યા અને બ્રિટીશરો વિરુદ્દની લડાયમાં જોડાયા હતા અને તે સાથે રેલ્વે ગાર્ડ તરીકે નોકરી બેંગ્લોર અને મદ્રાસ ખાતે કરી હતી.
કોલમ્બો ખાતે સિનીયર કેમ્બ્રિઝનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા પિંગલી વૈંક્યાને જ્ઞાનની ભુખ તેમને લાહોર તરફ લઈ ગઈ જ્યાં તેમણે એંગ્લો-વૈદિક કોલેજ ખાતે સંસ્કૃત અને ઉર્દૂ ભાષા શીખી હતી. જ્યાં તેઓ વર્ષ 1901થી લઈને 1906 સુધી રહ્યાં હતાં. જોકે તે દરમ્યાન પિંગલી વૈંક્યા સક્રિય રાજનેતા બની ગયા હતા અને બ્રિટીશ શાસનને ઉખાડી ફેંકવા માટે અલગ અલગ રણનીતિ પર વિચાર કરી રહ્યાં હતા. જોકે તેમની મુલાકાત વર્ષ 1908માં દાદાભાઈ નવરોજી સાથે કોલક્તા ખાતે થઈ હતી. તે વખતથી પિંગલી વૈંક્યા આઝાદી માટેની ચળવળમાં સક્રિય બની ગયા હતા. જોકે તેમણે કોલમ્બો ખાતે અભ્યાસ કર્યો હોવાથી જાપાનીઝ ભાષા પણ શીખી હતી. જેથી તેમને જાપાન વેક્યા તરીકે ઓળખ પામી હતી.
આ ઉપરાંત તેઓ કૃષિ ક્રાંતિનો રસ ધરાવનાર હોવાથી કૃષિ આધારિત પુસ્તક લખ્યું હતું અને તેઓ બ્રિટન ખાતેની રોયલ એગ્રીકલ્ચર સોસાયટીના મેમ્બર પણ બન્યાં હતાં . જેથી તેઓ વર્ષ 1911 સુધી તે ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યાં. વર્ષ 1914માં માસુલીપટં તરફ પાછા વળ્યાં અને ત્યાં તેમણે નેશનલ સ્કૂલનો પાયો નાખવા માટે કમરકસી હતી. જ્યાં તેઓ વિધાર્થીઓને તેઓ મિલટરી ટ્રેનિંગ, હોર્સ રાઈડીંગ, ઈતિહાસ અને કૃષિ અંગેનું જ્ઞાન આપી રહ્યાં હતાં.
તેમનું અવસાન વર્ષ 1963માં જૂલાઈ મહિનાની ચાર તારીખે વિજયવાડા ખાતે થયું ત્યારે તેઓ ગરીબીની હાલતમાં હતા. અને તેમણે પોતાના પાર્થિવ શરીરને પોતાના દ્રારા ડિઝાઈન કરવામાં આવેલા ઝંડાથી ઢાંકવાનું કહ્યું હતું અને અંતિમ સંસ્કાર પહેલા ઝંડાને સમ્માનથી લઈને ઝાડ પર લહેરાતો રાખવાનું જણાવ્યું હતું.
રાકેશ પંચાલ , રીતેષ પટેલ


