દરિયામાં ડૂબેલા ટાઈટેનિક જહાજમાં બનેલી દુર્ધટના પર આધારિત હોલીવુડ ફિલ્મનું નિર્માણ થયા બાદ તેને વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવી અને ત્યાર બાદ આ ફિલ્મને જોઈને લોકો વિચારમાં મુકાઈ ગયા હતા. ઈતિહાસના પાને ટાઈટેનિક જેવી દુર્ધટના પણ લખાયેલી છે તે બાબતે લોકોને જાણ થઈ હતી.
ટાઈટેનિક જહાજ જેવી જ દુર્ધટના ગુજરાતના જહાજ સાથે સર્જાઈ હતી. ગુજરાતના પોરબંદર નજીક આ પ્રકારની દુર્ધટના વર્ષ 1912માં એપ્રિલ મહિનાની 14 તારીખે બની હતી. 99 જહાજોના માલિક હાજી કાસમનું વિજળી નામનું જહાજ દ્રારકાથી પોરબંદર આવ્યું હતું. ત્યાંથી અમુક મુસાફરોને લીધા બાદ આ જહાજ આગળ વધ્યું હતું. જેમાં મુંબઈ પરીક્ષા આપવા જઈ રહેલા વિધાર્થીઓની સાથે વેપારીઓ તેમજ અગિયાર વરરાજાઓ અને તેમના જાનૈયાઓ હતા.
પોરબંદરથી સમય અનુસાર નીકળ્યાં બાદ આ જહાજ દરિયામાં ફસાયું હતું. દરિયાએ પોતાનો મિજાજ બદલ્યો. વિજળીના ચમકારા થવા લાગ્યાં અને જોરદાર પવન અને દરિયાના મોજા વચ્ચે વિજળી જહાજ ફસાયું અને જોત જોતામાં તેરસો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિજળી નામના જહાજનો આ અગિયારમો પ્રવાસ અને જે અંતિમ બની જવા પામ્યો હતો.

